ગાંધીનગર : રાજય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રૂા.૨૬૦ લાખના ખર્ચે નિર્માણ પામેલ સામુહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરતાં રાજયના આરોગ્ય મંત્રી નિતિનભાઇ પટેલે જણાવ્યું કે, રાજયના નાગરિકોને ગુણવત્તાલક્ષી વિનામૂલ્યે આરોગ્યલક્ષી સારવાર પુરી પાડવી એ અમારી સરકારની પ્રાથમિકતા છે અને રહેશે. એટલા જ માટે રાજય ભરના ખાનગી નિષ્ણાંત તબિબોની સેવાઓ લઇને સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને વિનામૂલ્યે શ્રેષ્ઠ સેવાઓ આપી રહ્યાં છીએ. સ્થાનિક કક્ષાએ કલેકટરોને અધિકાર આપી રાજયના નિષ્ણાંત તબિબોની સેવાઓ સી.એમ.સેતુ યોજના દ્વારા માનદવેતનથી લઇ રહ્યાં છીએ.
કલોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મોટી ફેકટરીઓ – ઔધોગિક એકમો આવેલા છે. તેમાં જરૂરિયાત વાળા દર્દીઓને તમામ સુવિધાઓ વિનામૂલ્યે આપવા ગુજરાત સરકારે રૂા.૨૬૦ લાખના ખર્ચે આ સામુહિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ કર્યું છે. આ ઉપરાંત આ વિસ્તારના સાંસદ અને દેશના ગૃહમંત્રી અમિતભાઇ શાહ તરફથી ૭૨ લાખ રૂપિયા ખુટતા સાધનો માટે પ્રાપ્ત થયા છે. શહેરી વિકાસની ગ્રાન્ટમાંથી પણ કલોલ શહેરને નગરપાલિકા ભવન, ટાઉનહોલ, બગીચા જેવી સુવિધાઓ મળી છે.
પ્રજાની તંદુરસ્તી જાળવવા મોંઘી સારવાર પણ આ હોસ્પિટલમાં તમામ સુવિધાઓ અમારા આરોગ્ય વિભાગ દ્વારા મફત મળવાની છે. જુની બિલ્ડિંગ હતી ત્યારે પણ ૮૫ હજાર કરતા વધારે દર્દીઓ લાભ લેતા હતા. હવે નવું મકાન અને અદ્યતન સુવિધાઓ મળતાં સ્પેશિયલ મળશે. જેથી દર્દીઓને ગાંધીનગર કે, સોલા સીવીલમાં મોકલવા નહીં પડે.
રાશનકાર્ડ જેટલું જ મહત્વનું મા –વાત્સલ્ય કાર્ડ માનવીય સેવાઓ માટે નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કર્યું હતું. જેમાં રાજયના ગરીબ દર્દીઓને રૂા.૩.૦૦ લાખ સુધીની સારવાર વિનામૂલ્યે અપાતી હતી. એ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આગળ વધારીને આ યોજના હેઠળ રૂા.૫.૦૦ લાખની મર્યાદા કરી છે. અને એ જ યોજનાને વડાપ્રધાનશ્રીએ આજે દેશ ભરમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય દ્વારા અમલી બનાવી છે જે હેઠળ પણ રૂા.૫.૦૦ લાખની સારવાર વિનામૂલ્યે અપાય છે. જે અંતર્ગત રાજયના ૪ કરોડ લોકોને આયુષ્યમાન કાર્ડ અપાયા છે. આ યોજના હેઠળ ગત વર્ષે રૂા.૯૦૦ કરોડની સારવાર રાજયના નાગરિકોએ મેળવી છે. જે ભૂતકાળમાં લોકોને દેવા કરીને કરવી પડતી હતી. આજે એ સમસ્યાઓ અમારી સરકારે દૂર કરીને હ્દય, કીડની, કેન્સર જેવા ગંભીર રોગોની સારવાર પણ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી રહી છે.
નાયબ મુખ્યમંત્રીએ કોરોના કાળમાં દર્દીઓની સેવા કરતાં આરોગ્ય કર્મીઓની સેવાઓને બિરદાવતા જણાવ્યું કે, કોરોના વેકશિન સૌ પ્રથમ જેમણે જીવના જોખમે કોરોના દર્દીઓ કે જેમના માતા પિતા કે કુટુંબના સભ્યોને દુર રાખવામાં આવતા હતા અને ડાૅકટરો, નર્સો, પેરામેડિકલ સ્ટાફ અને સફાઇ કામદારોએ આ કામગીરી કરી છે. તેઓને રાજય સરકાર દ્વારા પ્રથમ તબક્કામાં આ વેકશિન આપવામાં આઇ રહી છે. તેમણે દેશના પ્રધાનમંત્રીની દિર્ઘદષ્ટિ અને કોરોના સમયે યોગ્ય નિર્ણય લઇ, લોકડાઉન કરી અનાજ પુરવઠો તેમજ જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ પુરી પાડી લોકોના જીવનની રક્ષા કરી છે. એટલે જ અન્ય દેશો કરતાં ભારતમાં મૃત્યુનું પ્રમાણ ઓછું છે. તેમણે આ કપરાકાળમાં સેવાભાવી સ્વૈચ્છિક સંસ્થાઓને પણ ધન્યવાદ આપતાં શ્રેષ્ઠી દાંતાઓને કોરોના કાળમાં દાન આપવા બદલ યાદ કરયા હતા.
આ પ્રસંગે નાયાબ મુખ્યમંત્રીના હસ્તે ગરીબ દર્દીઓને સર્વ મંગલસાધના ટ્રસ્ટ દ્વારા અપાયેલ રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિભાગીય મુખ્યત્વે વડા અને નાયબ નિયામક, (આરોગ્ય) મીનાબેન વડાલિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મનુભાઇ સોલંકીએ સામૂહિક આરોગ્ય કેન્દ્રની માહિતી આપતાં જણાવ્યું કે કુલ ૧૭૬૪ ચો.મી.ના બે માળના બાંધકામમાં ભોંયતળીયે ઇમરજન્સી રૂમ, ૬ જનરલ ઓપિડી, ૮ બેડનો હિમોડાયાલીસીશ વોર્ડ, એકસરે રૂમ, લેબોરેટરી, લેબર રૂમ, મેડિકલ રજીસ્ટ્રેશન રૂમ, આઇ.સી.ટી.સી.રૂમ, અધિક્ષક રૂમ, ૨ સ્પેશ્યાલીસ્ટ રૂમ, સર્વમંગલ સાધના ટ્રસ્ટ રૂમ જયારે પ્રથમ માળે ૩૦ બેડના મેલ- ફીમેલ વોર્ડ, આઇસોલેશન વોર્ડ, ઓપરેશન રૂમ, ચાર બેડના સેમી સ્પેશ્યાલીસ્ટ રૂમ, ૨ સ્પેશીયલ રૂમ, મેડીકલ સ્ટોર અને ઓફીસ રૂમ સાથે ૨૪X૭ પાણીની સગવડ ઉપલબ્ધ છે.
આ પ્રસંગે ધારાસભ્ય બળદેવભાઇ ઠાકોર, જિલ્લા ભાજપ પ્રમુખ નૈલેષભાઇ શાહ, જિલ્લા ભાજપ સંગઠનના સભ્યો, કલોલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખો, સ્થાનિક પદાધિકારીઓ, કલો પ્રાંત અધિકારી એ.ડી. જોષી, નગરજનો તેમજ આરોગ્ય વિભાગનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતા.
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ
Download Mytro App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | YouTube