ગાંધીનગર : ગાંધીનગરમાં સૌથી મોટા બાલભવન એટલે કે ટોય મ્યુઝિયમ માટે ચિલ્ડ્રન યુનિવર્સિટીને ગીફ્ટ સિટી નજીક શાહપુર ખાતે ૩૦ એકર જમીન ફાળવવામાં આવી છે. ૧૫૦૦ કરોડના આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટનો ઉલ્લેખ ગત રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીઅે “મન કી બાત” માં કર્યો હતો. વિશ્વના આ સૌથી મોટા “બાલભવન” ટોય મ્યુઝિયમમાં દેશના ખૂણે ખૂણેથી ૧૧ લાખથી પણ વધુ પ્રાચીનથી માંડીને અર્વાચીન રમકડા મૂકવામાં આવશે ઉપરાંત ભારતના મહાપુરુષો, શહીદો, વિજ્ઞાનીઓ, કલાકારો સહિત સ્વાતંત્ર્ય સેનાનીઓ અને વિવિધ મિસાઈલ્સના મોડેલ્સ પણ મૂકવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ “મન કી બાત”માં કહ્યું હતું કે… “મારા પ્રિય દેશવાસીઓ, કોરોનાના આ સમયગાળામાં દેશ કેટલાયે મોરચે એક સાથે લડી રહ્યો છે, પરંતુ તેની સાથે-સાથે, કેટલીયે વાર મનમાં એ પણ સવાલ થતો રહ્યો છે કે આટલા લાંબા સમય સુધી ઘરમાં રહેવાને કારણે મારા નાના-નાના બાળમિત્રોનો સમય કેવી રીતે પસાર થતો હશે અને એટલે જ મેં ગાંધીનગરની ચિલ્ડ્ર્ન યુનિવર્સિટી – જે દુનિયામાં એક નોખા પ્રકારનો પ્રયોગ છે, ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, શિક્ષણ મંત્રાલય, સૂક્ષ્મ-લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય, આ બધાની સાથે મળીને, આપણે બાળકો માટે શું કરી શકીએ છીએ, તેના પર મંથન કર્યું, ચિંતન કર્યું. મારા માટે તે અતિ સુખદ હતું, લાભકારી હતું કારણ કે એક રીતે તે મારા માટે પણ કંઈક નવું જાણવાનો, નવું શિખવાનો લ્હાવો બની ગયો.
સાથીઓ, આમારા ચિંતનનો વિષય હતો, રમકડાં અને ખાસ કરીને ભારતીય રમકડાં. અમે આ વાત પર મંથન કર્યું કે ભારતના બાળકોને અવનવા રમકડાં કેવી રીતે મળે, ભારત રમકડાં ઉત્પાદનનું એક મોટું મથક કેવી રીતે બને. આમ તો હું “મન કી બાત” સાંભળનારા બાળકોના માતા-પિતા પાસે ક્ષમા માંગુ છું, કારણ કે બની શકે કે હવે આ “મન કી બાત” સાંભળ્યા પછી રમકડાંની નવી નવી ડિમાન્ડ સાંભળવાનું કદાચ તેમની સામે એક નવું કામ આવી જશે.
સાથીઓ, રમકડાં જ્યાં એક્ટિવિટીને વધારનારા હોય છે, તો રમકડાં આપણી મહત્વાકાંક્ષાઓને પણ પાંખો આપે છે. રમકડાં ન માત્ર મનને બહેલાવે છે, રમકડાં મનને બનાવે પણ છે, અને હેતુ પણ ઘડે છે. મેં ક્યાંક વાંચ્યું કે રમકડાંના સંબંધમાં ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે કહ્યું હતું કે, બેસ્ટ ટોય, એ હોય છે જે Incomplete હોય. એવું રમકડું જે અધૂરું હોય, અને બાળકો હળીમળીને રમત-રમતમાં તેને પૂરું કરે. ગુરુદેવ ટાગોરે કહ્યું હતું કે જ્યારે તેઓ નાનાં હતાં ત્યારે પોતાની કલ્પનાથી જ ઘરમાં મળી રહેતાં સામાનમાંથી જ પોતાના દોસ્તો સાથે પોતાના રમકડાં અને રમતો બનાવતા હતા. પરંતુ એક દિવસ બાળપણની એ મોજ-મસ્તીની પળોમાં મોટેરાઓની દખલ થઇ. થયું એવું કે તેમનો એક સાથી એક મોટું અને સુંદર વિદેશી રમકડું લઈને આવ્યો. રમકડાંને લઈને રોફ અનુભવતા દરેક સાથીનું ધ્યાન રમત કરતાં વધુ તે રમકડા પર ચોંટી ગયું.
દરેકના આકર્ષણનું કેન્દ્ર રમત નહીં પરંતુ રમકડું બની ગયું. જે બાળક કાલ સુધી બધા સાથે રમતું હતું, બધા સાથે રહેતું હતું, હળી-મળી જતું હતું, રમતમાં ડૂબી જતું હતું, તે હવે આઘું રહેવા લાગ્યું હતું. એક રીતે અન્ય બાળકો સાથે વેગળાપણાનો ભાવ તેના મનમાં બેસી ગયો. મોંઘા રમકડાંમાં બનાવવા માટે કંઈ પણ નહોતું, શિખવા માટે પણ કંઈ નહોતું. એટલે કે એક આકર્ષક રમકડાંએ એક ઉત્કૃષ્ઠ બાળકને ક્યાંક દબાવી દીધો, છૂપાવી દીધો, મુરઝાવી દીધો. આ રમકડાંએ ધનનું, સંપત્તિનું, સહેજ મોટાઈનું પ્રદર્શન કર્યું પરંતુ તે બાળકની ક્રિએટીવ સ્પિરિટને વધતા અને ઘડાતા રોકી દીધી. રમકડું તો આવી ગયું, પરંતુ ખેલ પૂરૂં થઇ ગયું અને બાળકોનું ખિલવાનું પણ રોકાઈ ગયું. તેથી જ ગુરુદેવ કહેતા હતા કે રમકડાં એવા હોવા જોઈએ જે બાળકના બાળપણને બહાર લાવે, તેની ક્રિએટીવીટીને સામે લાવે. બાળકોના જીવનના અલગ-અલગ પાસાંઓ પર રમકડાંઓનો જે પ્રભાવ છે, તેના પર રાષ્ટ્રિય શિક્ષા નીતિમાં પણ ઘણું ધ્યાન આપવામાં આવ્યું છે. રમત-રમતમાં શિખવું, રમકડાં બનાવવાનું શિખવું, રમકડાં જ્યાં બને છે ત્યાંની મુલાકાત કરવી, આ બધાને અભ્યાસક્રમ નો ભાગ બનાવવામાં આવ્યો છે.”
ફોટો પ્રતિકાત્મક
Download MyGandhinagar App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtube