ગાંધીનગર: ગુજરાતમાં કોરોના મહામારીના કહેરને પગલે લાગુ પડેલા લોકડાઉનના કારણે તમામ વેપાર-ધંધા-વ્યવસાય ઠપ્પ થઈ જવા પામ્યા હતા અને હજુ પણ આંશિક રીતે ચાલુ રહેલી લોકડાઉનની સ્થિતિમાં કેટલાક રોજગાર બંધ છે. આ પરિસ્થિતિમાં રાજયમાં સ્કૂલોએ પહેલા સત્રની ફી નહીં ઉઘરાવવાની સરકારની જાહેરાત છતાં સ્કૂલો દ્વારા ઉઘરાવવામાં આવતી ફીના મુદ્દે નેશનલ સ્ટુડન્ટસ યુનિયન ઓફ ઈન્ડિયાના ગાંધીનગર જિલ્લા યુનિટ દ્વારા વિરોધ વ્યકત કરવામાં આવ્યો છે. આ સાથે એનએસયુઆઈ દ્વારા આરટીઆઈ અંતર્ગત આર્થિક રીતે નબળા વર્ગના ૨૫ ટકા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા બાબતે પણ ખાનગી સ્કૂલો દ્વારા દાખવવામાં આવી રહેલી ઉદાસીનતા બાબતે ચિંતા વ્યકત કરી છે.
એનએસયુઆઈના જિલ્લા પ્રમુખ અમિત પારેખ સહિત અન્ય હોદ્દેદારોઅે મળીને જિલ્લા શિક્ષણાધિકારીને આવેદન પત્ર આપીને ઓનલાઈન શિક્ષણ આપવાના બહાના તળે ઉઘરાવાતી ફી તેમજ કેટલીક શાળાઓ દ્વારા ફી માફી અંગે સરકારનો કોઈ પરિપત્ર મળ્યો નહીં હોવાનું બહાનું કાઢી ફી ઉઘરાવવાની પ્રવૃત્તિ તેમજ વિદ્યાર્થીઓને પુસ્તકો-નોટબુક-ચોપડા વગેરે ફરજીયાત સ્કૂલમાંથી ખરીદવા કરવામાં આવતા દબાણ બાબતે રજૂઆત કરી છે. આ પત્રમાં તેમણે વાલીઓને સ્કૂલ સંચાલકો દ્વારા કરવામાં આવતા દબાણને કારણે સર્જાતી ઘર્ષણની સ્થિતિ ઉપરાંત આરટીઈ એકટ હેઠળ ૨૫ ટકા બાળકોને આપવાના પ્રવેશ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નહી હોવાની બાબત વિગતવાર જણાવતા સત્વરે ફી માફી અંગે પરિપત્ર જાહેર કરવા માંગ કરી છે. આ સાથે તેમણે આરટીઈ એકટ હેઠળ પ્રવેશ પ્રક્રિયાના ફોર્મ ઓનલાઈન કરવા પણ માંગ કરી છે.
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ
Download MyGandhinagar App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtube