આત્મન અભિવ્યક્તિ બાળશિબિર ઓનલાઈન ભવ્ય શુભારંભ થયો છે. આત્મન ફાઉન્ડેશન દ્વારા ગાંધીનગર ખાતે સતત ૨૪ માં વર્ષે આત્મન અભિવ્યક્તિ બાળશિબિર આયોજન થઈ રહ્યું છે. કોરોના વૈશ્વિક મહામારીને કારણે અત્યારે કુદરતને ખોળે શિબિર યોજાઇ શકે તેમ ન હોતી ત્યારે ઓનલાઈન વેબિનાર ગોઠવવામાં આવી છે. આજે પહેલા દિવસે ૭૧બાળકોએ એકસાથે પોતાના ઘરેથી દિપ પ્રાગટય કર્યું અને શિબિરની ભવ્ય શરૂઆત થઈ.
ત્યારબાદ આત્મન ફાઉન્ડેશનના મંત્રી શ્રી સંજય થોરાતે સૌનું સ્વાગત કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી. એમણે ઓનલાઈન ઉપસ્થિત સોથી વધુ બાળકો અને વાલીઓનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. ‘કોરોનાથી ડરો ના’ વિશે ડો. પૌલમી પરમારે બાળકોને કોરોના ફાયટર્સ બનાવવાની ટીપ્સ આપી હતી. આ અવેરનેસ કાર્યક્રમ સૌને ખૂબ ગમ્યો હતો. ત્યારબાદ નિવૃત્ત આઈએએસ અધિકારી એચ. બી. વરીયા ‘વાર્તા રે વાર્તા’ દ્વારા સૌને બોધ વાર્તા કીધી હતી.
ગાંધીનગરના જાણીતા કોરિયોગ્રાફર પ્રજ્ઞા ગજ્જરે ‘હમ હોંગે કામિયાબ’ સાથે બાળકો ને ડાન્સ કરાવી પરસેવો પડાવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સરસ સંચાલન ગાંધીનગર સમાચારના કટાર લેખક મમતા રાવલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ શિબિરના સંયોજક તરીકે સી. એલ. મહેતા અને સંજય થોરાત મહેનત કરી રહ્યા છે. આ શિબિરનું ટેકનિકલ સંચાલન ધૈવત મહેતા કરી રહ્યા છે એવું આત્મન ફાઉન્ડેશનના સંસ્થાપક પ્રજ્ઞાબહેન પટેલે જણાવ્યું છે.