ગાંધીનગર: આત્મજ્ઞાની પૂજ્ય દીપકભાઇનો આજે ૬૭ મોં જન્મ દિવસ છે. દીપકભાઈ દેસાઈનો જન્મ તા. ૯ મે, ૧૯પ૩ ના રોજ ગુજરાતનાં મોરબી શહેરમાં થયો હતો. એક દિવસ તેમના મોટા ભાઈએ તેમને જ્ઞાની પુરુષ અંબાલાલ મૂળજીભાઈ પટેલ (પ્રેમથી પરમ પૂજ્ય દાદાશ્રી અથવા દાદાભગવાન તરીકે જાણીતા) વિશે વાત કરી કે, જેમનું અક્રમ વિજ્ઞાન તેમને ભણવામાં એકાગ્રતા કરવામાં મદદ કરશે. તે સમયે પૂજય દીપકભાઈ, VJTI કોલેજ બોમ્બેમાં એન્જિનીયરીંગનો અભ્યાસ કરતાં હતાં. આ મૃદુભાષી, વિનમ્ર અને અંતર્મુખ યુવાનને સંસારીજીવન અર્થ વગરનું અને બોજારૂપ લાગતું હતું. તે સમયે તેઓ ક્યાં જાણતા હતા કે, જ્ઞાની સાથેની આ મુલાકાત, તેમનાં જીવનનો અગત્યનો વળાંક હશે અને સમય વીતવાની સાથે, તેમણે ક્યારેય ન વિચાર્યું હોય તેવું પરિવર્તન લાવશે.
જ્ઞાન – સેલ્ફ રિયલાઈઝેશન (આત્મજ્ઞાન): તા.૬ માર્ચ, ૧૯૭૧ના રોજ પૂજ્ય દીપકભાઈને, પરમ પૂજ્યદાદાશ્રી પાસેથી આત્મજ્ઞાન પ્રાપ્ત થયું. ત્યારે તેઓ સત્તર વર્ષનાં હતાં. આત્મજ્ઞાને તેમનામાં આ અસાધારણ જ્ઞાન, અક્રમવિજ્ઞાનને ઉંડાણથી શીખવા અને સમજવાની ધગશ જગાવી.